વડોદરામાં સ્માર્ટ મીટરની સ્થાપના પર વિવાદ વચ્ચે, મધ્ય ગુજરાત વીજ કંપની લિ. (MGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર તેજશ પરમારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને સ્માર્ટ મીટરના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે જણાવ્યું કે MGVCL દ્વારા 27,000 મીટર લગાવવામાં આવ્યા છે, જેમાંથી 15,000 મીટર સક્રિય છે. પરમારે એ પણ જણાવ્યું કે રજાઓ અને ચૂંટણીના કારણે વીજ કનેક્શન બંધ કરવામાં આવ્યા નથી. ફક્ત તે જ કનેક્શનો બંધ કરાયા છે, જેમનું બેલેન્સ માઈનસમાં હતું, અને આ કારણે લોકો રજૂઆત માટે આવી રહ્યા છે.
તેજશ પરમારે સ્માર્ટ મીટરના ફાયદાઓ ગણાવતા કહ્યું કે આ નવું સ્માર્ટ મીટર પણ જૂના મીટર જેવું જ છે અને દૈનિક વપરાશ અને ચાર્જ એપ દ્વારા બતાવે છે. માઈનસ 300 રૂપિયા સુધી કનેક્શન ચાલુ રહે છે. જો કોઈને મુશ્કેલી આવી હોય તો તેનો ઉકેલ લાવવામાં આવશે.
અકોટા વિસ્તારથી શરૂ થયેલા વિરોધનો ઉલ્લેખ કરતા, તેજશ પરમારે કહ્યું કે સ્માર્ટ મીટરથી ત્રણ ગણું વીજ બિલ આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉપરાંત, રિચાર્જ ખતમ થવાથી ગમે ત્યારે કનેક્શન કાપી નાખવામાં આવતું હોવાના આક્ષેપો પણ થયા છે. રિચાર્જ કેવી રીતે કરવું તે અંગે સામાન્ય વર્ગના લોકોને કોઈ સમજણ આપવામાં આવી નથી.